આવો મારી હાટડીએ
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૬)
એક દિવસ હું બજારમાં ખરીદી
કરવા નીકળ્યો. બજારમાં દુકાનોને જોતો આગળ વધતો જતો હતો. કયારેક ઘ્યાન ચૂકી જવાય
તો કોઈ અથડાઈ પણ જાય. પણ બધા સારા મળ્યા. એટલે ‘આંધળો છો કે શું?' એવું કોઈ ન બોલ્યું. તેથી બીજો પણ એક વિચાર
આવ્યો, કે આ બજારમાં
આવનાર માણસો વિવેકી જ હશે. ઘણી દુકાનો જોઈ, પણ મારે જે વસ્તુ લેવી હતી તે કયાંય જોવા ન
મળી. આમતેમ જોતો આગળ વઘ્યો. ત્યાં કોઈ મારી સાથે અથડાયું હોય એવું લાગ્યું.
બંનેએ એકબીજા સામે જોયું. તેને હું ઓળખી ગયો. તે મારો પૂર્વ વિદ્યાર્થી મયૂર નાનજીભાઈ
પરસાણી હતો.
તે બોલ્યો, ‘‘રામોલિયાસાહેબ! આમ ભટકાતા-ભટકાતા શું લેવા
નીકળ્યા છો?''
મેં કહ્યું, ‘‘મારે ફલાણી વસ્તુ લેવી છે.''
તે કહે, ‘‘આવો મારી હાટડીએ! ત્યાં મળી જશે.''
મને આશ્ચર્ય થયું કે,
આને હાટડી શબ્દ કયાંથી
આવડી ગયો! ભણવા સાથે તો તેને બાપદાદાનું વેર હતું. હા, તોફાન સાથે દોસ્તી હતી. એક દિવસ તો તેના
તોફાનને લીધે મેં બરાબરની થપ્પડ મારી અને કહેલું કે, ‘‘શાળામાં ભણવા આવશ તો ભણવામાં ઘ્યાન દેને! આવી
રીતે જિંદગીને વેડફી ન નાખ. ભણીશ તો ધંધો પણ સારો કરી શકીશ.''
આવા વિચારમાં તેની સાથે થોડે
સુધી ચાલ્યો ત્યાં એક દુકાન આવી.
દુકાન સામે હાથ ચીંધીને મને
કહે, ‘‘આ મારી નાનકડી
હાટડી.''
હું દુકાનમાં ગયો. દુકાન
ઘરવપરાશની ચીજો અને પ્લાસ્ટિકની ચીજોની હતી. દુકાનની રોનક જોઈને મારી આંખો પહોળી
જ રહી ગઈ. મેં કહેલ ચીજ તે તરત શોધી લાવ્યો. બાકીના ગ્રાહકોને બીજા માણસો વસ્તુઓ
શોધીને આપતા હતા. તેમાંયે ઘડીકમાં વારો આવતો નહિ હોય. એટલે મારા પહેલા આવેલા
ગ્રાહકો મારી સામે કતરાઈને જોવા લાગ્યા.
મયૂરે મને એક ખુરશીમાં
બેસાડયો. પછી મારા સામે ઊભો રહીને બોલ્યો, ‘‘નાસ્તામાં શું લેશો સાહેબ?''
મેં કહ્યું, ‘‘મને નાસ્તામાં કંઈ નહિ ચાલે. પણ મને એ તો કહે
કે, આવો ચમત્કાર કેવી રીતે
થયો?''
તે કહે, ‘‘તમારી થપ્પડથી.''
આ સાંભળી બીજા ગ્રાહકો પણ
અમારા સામે જોવા લાગ્યા.
ફરી તે બોલ્યો, ‘‘તે દિવસે તમે મને થપ્પડ મારી જે વાત કહી હતી
તે મારા મગજને હચમચાવી ગઈ હતી. પછી હાઈસ્કૂલમાં ગયો ત્યારે ઘ્યાન આપીને વાંચતા-લખતાં
શીખ્યો અને હિસાબ કરવાનું શીખી ગયો. દસમા ધોરણ પછી ભણ્યો નહિ અને એક નાનકડી
દુકાન ખોલી. અત્યારે આવી ચાર દુકાનો છે.''
હું બોલ્યો, ‘‘વાહ, મયૂર! તેં તો ખૂબ સારી પ્રગતિ કરી લીધી. તું તો આગળ વઘ્યો, પણ તારી દુકાનમાં કામ કરનારાને પણ રોજીરોટી ઊભી
કરી દીધી. જ્યાં તારું પોતાનું કોઈ ઠેકાણું નહોતું, તેની જગ્યાએ તેં આ સામ્રાજ્ય ઊભું કરી દીધું.
શાબાશ, મયૂર શાબાશ!''
તે જ્ઞાનની વાત કરે છે,
‘‘જેમ નારદજીની ટકોરે
વાલિયા લુંટારાને વાલ્મિકી ઋષિ બનાવી દીધા, તેમ તમારી ટકોરે મને અહીં સુધી પહોંચવાનું બળ
આપ્યું છે. તે દિવસે તમે થપ્પડ મારીને મારી આંખ ખોલી ન હોત, તો આજે હું કયાંક મજૂરી કરતો હોત. તમારો
ખૂબ-ખૂબ આભાર, સાહેબ!''
આ સાંભળીને મને થયું,
કયાંક અજાણતામાં પણ મોટું
જ્ઞાન અપાય જતું હોય છે. જેને શીખવવું હોય, તે કોઈપણ રીતે શીખવે છે. શીખવવા માટે સ્થળ-કાળ
જોવાની જરૂર ન હોય.
-
‘સાગર' રામોલિયા