.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૦


આંગળા ચાંટતાં રહી જશો
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-10)
          એક સંબંધીનું નોતરું આવ્‍યું. તેને ત્‍યાં જમવા જવાનું હતું. નાનકડો એવો પ્રસંગ રાખેલો હતો. સંબંધના નાતે જમવા ગયો. જમવાને હજી થોડી વાર હતી. મને થયું, લે ને રસોડા તરફ આંટો મારી લઉં. રસોઈ કેવી બને છે એ તો ખબર પડે.
          આમ વિચારી હું તો રસોડા તરફ ગયો. જઈને થોડું મોટપણ દેખાડવા લાગ્‍યો.
          હું બોલ્‍યો, ‘‘રસોઈ બરાબર બનાવજો. કોઈ ફરિયાદ ન આવવી જોઈએ.''
          મારો અવાજ સાંભળીને એક યુવાને મારા સામે જોયું. થોડું વિચિત્ર રીતે જોયું. મને લાગ્‍યું, કયાંક આને ખોટું લાગી ગયું હશે ને અપમાન કરી બેસશે તો! પણ મારે વધું અસમંજમાં ન રહેવું પડયું.
          તે બોલ્‍યો, ‘‘રામોલિયાસાહેબ! આંગળા ચાટતાં રહી જશો.''
          હું બોલ્‍યો, ‘‘લે, ભાઈ! તું તો મને ઓળખનારો નીકળ્‍યો!''
          તે કહે, ‘‘ઓળખું તો ખરોને!''
          મેં પૂછયું, ‘‘કઈ રીતે?''
          તેણે જવાબ આપ્‍યો, ‘‘જે વાલીની ફરિયાદની પરવા કર્યા વગર, મારીને પણ મગજમાં ઉતારવા પ્રયત્‍ન કરતા હોય, એને કેમ ભૂલાય!''
          મેં કહ્યું, ‘‘મારા વિશે આટલી સરસ જાણકારી રાખનારનું નામ શું?''
          તે કહે, ‘‘હિતેશ કલ્‍યાણજીભાઈ કાલાવડિયા.''
          હું બોલ્‍યો, ‘‘હા, ભાઈ! હવે યાદ આવી ગયું. પણ તું રસોયો?''
          તે કહે, ‘‘તમે જ તો કહ્યું હતું રસોયો બનવાનું!''
          હવે મને યાદ આવ્‍યું. આ હિતેશ મારી પાસે ભણતો હતો. ભણવામાં થોડો નબળો. એક વખત શાળાના બાળકોને જમાડવાના હતા. રસોઈ શાળામાં જ બની રહી હતી. હિતેશ પેશાબની રજા લઈને બહાર નીકળ્‍યો હતો. પછી તે રસોઈ બનતી હતી ત્‍યાં ઊભો રહી ગયો હતો. થોડી વાર લાગી એટલે હું જોવા નીકળ્‍યો. તેને ત્‍યાં ઊભેલો જોઈને હું બોલ્‍યો, ‘‘અહીં શું ઊભો છો? રસોયો બનવું છે?'' તે બોલ્‍યો હતો, ‘‘રસોઈની મીઠી-મીઠી સુગંધ લઈને એવું થાય છે કે રસોયા બનીએ તો રોજ આવી સુગંધ મળે.'' મેં ત્‍યારે કહેલ, ‘‘હા, ભલે! પણ અત્‍યારે વર્ગમાં આવીને ભણવામાં ઘ્‍યાન દે! વાંચતાં નહિ આવડે તો દાળનો મસાલો કયાંક ભજિયાંમાં નખાય જશે.''
          પછી તો જાણે ચમત્‍કાર થયો. તે ભણવામાં વધારે ઘ્‍યાન દેવા લાગ્‍યો. એક દિવસ આ પરિવર્તન બાબત મેં પૂછયું પણ ખરું. તો તે એટલું જ બોલ્‍યો, ‘‘મારે દાળનો મસાલો ભજિયાંમાં નથી નાખવો.'' મને પણ આ વાતનો આનંદ થયો.
          આજે ફરી મેં પૂછયું, ‘‘દાળનો મસાલો દાળમાં જ નાખશને?''
          તે કહે, ‘‘સાહેબ! મને ગુજરાતી, હિંદી, અંગ્રેજી બરાબર વાંચતાં આવડે છે. પહેલા ભણ્‍યો, પછી આ ધંધો હાથમાં લીધો છે. સરકારી નોકરી મળી જાય એટલી લાયકાત છે. પણ મારે તો આ જ કામ કરવું હતું.''
          મેં કહ્યું, ‘‘રસોઈની સુગંધ તો સરસ આવે છે.''
          તે કહે, ‘‘સુગંધની જેમ રસોઈ પણ સરસ છે. મારી રસોઈ વખણાય છે. પ્રસંગોની મોસમમાં હું પહોંચી ન શકું એટલાં કામ મળે છે. પણ હું લોભમાં આવીને દોડાદોડી નથી કરતો. મારાથી થાય, એટલું જ કામ રાખું છું.''
          મેં કહ્યું, ‘‘શાબાશ! ઘણા તો એવું વિચારતા હોય છે કે, આપણે કયાં નોકરી કરવી છે! એટલે ભણવામાં ઘ્‍યાન આપતા નથી. તારે તો નક્કી હતું કે નોકરી નથી કરવી, છતાં ભણ્‍યો. આ વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. રસોઈમાં જેમ સ્‍વાદ ભરશ, તેમ કોઈના માર્ગદર્શક બનીને એની જિંદગીને સ્‍વાદિષ્‍ટ બનાવજે.''
                                    - ‘સાગર' રામોલિયા


રવિવાર, 15 સપ્ટેમ્બર, 2019

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૯


આજા મેરી ગાડી મેં બૈઠ જા
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-9)
          કયારે કેવા સંજોગો ઊભા થતાં હોય તેનું કંઈ નક્કી નથી હોતું. કયારેક અકસ્‍માતે એવા કોઈનો ભેટો થઈ જાય, જે આપણે વિચાર્યું પણ ન હોય. આવો બનાવ દરેકના જીવનમાં બનતો જ હોય છે. કોઈના માટે આનંદનો બનાવ બને, તો કોઈના માટે કષ્‍ટદાયક પણ નીવડે. મારા માટે તો મને આશ્ચર્યમાં મૂકી દેનારો બનાવ બન્‍યો.
          એક દિવસ બહારગામથી બસમાં આવ્‍યો. રસ્‍તાની બાજુમાં ઊભા રહીને રીક્ષાની વાટ જોતો હતો. જે રીક્ષા આવતી હતી તેમાં જગ્‍યા નહોતી. એટલે થોડીવાર ત્‍યાં વધુ વાટ જોવી પડી. થોડીવાર થઈ ત્‍યાં એક મોંઘીદાટ ગાડી મારા બાજુમાં ઊભી રહી. હું ત્‍યાંથી થોડો ખસી ગયો. એટલે તે ગાડી પણ પાછળ ખસી. તેનો કાચ ખૂલ્‍યો.
          ગાડીને ચલાવનાર બોલ્‍યો, ‘‘કયાં જવું છે, સાહેબ? ચાલો મૂકી જાવ.''
          મેં કહ્યું, ‘‘ના, ભાઈ! રીક્ષામાં ચાલ્‍યો જઈશ. આનું ભાડું મોંઘું પડે!''
          તે કહે, ‘‘તમારે ભાડું નથી દેવાનું.''
          હું બોલ્‍યો, ‘‘કેમ?''
          તે બોલ્‍યો, ‘‘આ ગાડી તમારી જ છે એટલે.''
          મેં કહ્યું, ‘‘ભાઈ! મારી પાસે તૂટયું-ફૂટયું એકટીવા છે. આવી ગાડી તો સપનામાંયે નથી આવી.''
          તે બોલ્‍યો, ‘‘અરે, રામોલિયાસાહેબ! હું તમારી પાસે ભણતો. મારું નામ ધવલ મનુભાઈ પરમાર છે. બેસી જાવ, પછી બીજી વાત!''
          હું ગાડીમાં બેસી ગયો. મને જાણે ફિલ્‍મ દેખાવા લાગ્‍યું. આ ધવલ મારા વર્ગમાં ભણતો. ભણવામાં રસ ઓછો, પણ રમકડાંની મોટરગાડીઓ રાખવાનો શોખીન. તેના દફતરમાં જાત-જાતની ગાડીઓ હોય. એક દિવસ તેનો જન્‍મદિવસ હતો. સવારમાં હું વર્ગમાં ગયો કે તરત મને પગે લાગવા આવ્‍યો. મેં તેને કહ્યું, ‘‘તને ગાડીઓનો શોખ છે. મોટો થઈને તું અનેક ગાડીઓનો માલિક બન. પણ અત્‍યારે ભણવામાં ઘ્‍યાન આપ. વાંચતાં-લખતાં આવડતું હશે તો પણ ઘણો ફાયદો થશે!'' ખબર નહિ, પણ મારી આ વાત તેના મન ઉપર અસર કરી ગઈ. હવે તેનું ઘ્‍યાન પેલી ગાડીઓથી રમવાને બદલે વાંચવામાં લગાડી દીધું. ઘરે ગયા પછી પણ કંઈ ખબર ન પડે તો મારા ઘરે આવીને પૂછી જતો. તેને લીધે તેને ઘણું આવડી ગયું. પણ તેણે હવે ફિલ્‍મ તોડયું.
          તે કહે, ‘‘સાહેબ! તમારા આશીર્વાદ સાચા પડયા છે.''
          હું બોલ્‍યો, ‘‘કેમ ભાઈ! એવું બોલે છે?''
          તેણે કહ્યું, ‘‘તમે તો મારા જન્‍મદિવસે આશીર્વાદ આપ્‍યા હતા, અનેક ગાડીઓનો માલિક બન! અત્‍યારે મારી પાસે આ એક જ ગાડી નથી! સાત બસ છે અને બાર ઈકો ગાડી છે. ટ્રાવેલ્‍સનો ધંધો ખૂબ સારો ચાલે છે. કામ માટે બધે માણસો લગાડી દીધા છે. હું તો બસ આંટા-ફેરા કરું!''
          મેં કહ્યું, ‘‘સરસ, સરસ! તારી આટલી પ્રગતિની વાત જાણીને મને ખૂબ આનંદ થયો છે. પણ તું ભણવામાં ઘ્‍યાન આપવા લાગ્‍યો હતો. તે કયાં સુધી પહોંચ્‍યું હતું?''
          તે કહેવા લાગ્‍યો, ‘‘ભણવામાં પણ ખૂબ મહેનત કરી. મેં પણ તમારી જેમ શિક્ષકની લાયકાત મેળવી લીધી છે. પછી વિચાર્યું, શિક્ષક થવાથી મારું સપનું અને તમારા આશીર્વાદ સાચા નહિ પડે. એટલે પહેલા એક ગાડી લીધી. ધીમે-ધીમે કમાણી વધારતો ગયો અને આજે આટલે સુધી પહોંચી ગયો છું.''
          મારાથી બોલાય ગયું, ‘‘વાહ, ધવલ વાહ! શિક્ષકના આશીર્વાદની અસર આટલી બધી થતી હોય છે, એ તો આજે તારા પાસેથી જાણવા મળ્‍યું. જો દરેક વિદ્યાર્થી ઉપર અમારા આશીર્વાદની આવી અસર થઈ જાય, તો મા સરસ્‍વતીને આપણે જે પ્રાર્થના કરીએ છીએ કે, ‘અજ્ઞાનનું અંધારું દૂર કરીને જ્ઞાનનું અજવાળું પાથર' એ ખરેખર સાચી પડી જાય. હજી પણ તારી પ્રગતિ થાય અને અન્‍યને પણ આગળ લાવ! બસ એ જ આશીર્વાદ.''
                                      - ‘સાગર' રામોલિયા